ગત 22મી સપ્ટેમ્બરે અંબાજીથી રાહુલ ગાંધીએ પ્રસ્થાન કરાવેલ યુવા પરિવર્તન યાત્રા 30મી સપ્ટેમ્બરે ઉમરગામ પહોંચી હતી. જ્યાં ‘યુવા પરિવર્તન યાત્રા’નું સમાપન/પૂર્ણાહુતિ થઈ હતી. જે પહેલા આ યાત્રાનું વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલીમાં ખાસ ઉપસ્થિત રહેલા કોંગ્રેસના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ હરપાલ સિંહ ચુડાસમાએ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપની સરકારથી ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ગુજરાતની જનતા હવે કોંગ્રેસ સાથે છે. પરિવર્તન યાત્રાને ઠેરઠેર આવકાર મળી રહ્યો છે. કોંગ્રેસ જો આ વિધાનસભા ચૂંટણી જીતશે તો બેરોજગાર યુવાનોને દર મહિને 3 હજારનું ભથ્થું, યુવાનોને રોજગાર આપીશું. હાલ ભાજપની સરકારમાં દેશમાં/રાજ્યમાં બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, મહિલાઓ પર થતા અત્યાચાર ના વિરૂદ્ધમા આ પરિવર્તન યાત્રાનું આયોજન કર્યું છે. વધુમાં રાજસ્થાનમાં કોંગ્રેસ માં ચાલી રહેલ રાજરમત અંગે તેમણે ભાજપ આ કાવતરા રચતી હોવાનું અને કુપ્રચાર કરતી હોવાનું જણાવી ભાજપમાં પણ મોદીનો અમિત શાહ સાથે અને નીતિન ગડકરી સાથે અણબનાવ છે. જે અંગે તેવો વાત બહાર નથી લાવતા તેવા આક્ષેપ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતાં. પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ હરપાલ સિંહ ચુડાસમા ઉપરાંત ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવીજય સિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામનું વાપીના કોંગ્રેસી આગેવાનોએ તેમજ યુવા પાંખે સ્વાગત કર્યું હતું.વાપીથી ઉમરગામ પહોંચેલ પરિવર્તન યાત્રાનું સમાપન થયું હતું. જ્યાં જાહેર સભાને સંબોધન કરતા કોંગ્રેસના આગેવાનોએ ભાજપને આડે હાથ લઈ આગામી દિવસોમાં યોજાનાર ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવશે તેવો હુંકાર કર્યો હતો.
![](http://lifestylenews.co.in/wp-content/uploads/2022/09/Untitled-design-62-1.png)