ગુજરાત વિધાનસભાના નાયબ દંડકની મૂંઝવણ, રસ્તા પાછળ સરકારે આપેલા કરોડો રૂપિયા ક્યાં વાપરવા તે અંગે પૂછતાં સલવાયા
શહેર અને જિલ્લાના તેમના મત વિસ્તારના અસંખ્ય બિસ્માર રસ્તા તેઓને દેખાતા નથી શુ.
વિકાસની સિદ્ધિઓ ગણાવવામાં ભરૂચ MLA ભાન ભૂલ્યા હોવાના આક્ષેપો
આજે આમ આદમી પાર્ટીએ તેમના ઘરથી 500 મીટરના રસ્તામાં જ બતાવ્યો આયનો
ભાજપના યશસ્વી નેતા ધારાસભ્યને ભગવાન ગણેશ સદબુદ્ધિ અને સમજ આપે તે માટે આપે કરી પ્રાર્થના
નોન પ્લાનના રસ્તાના મુદ્દે નિવેદન બાદ ભરૂચના ધારાસભ્ય થઈ રહ્યા છે ટ્રોલ
ભરૂચ જિલ્લામાં એટલો વિકાસ થયો છે કે મને સરકારે રસ્તા માટે રૂપિયા 10 કરોડ ફાળવ્યા છે પણ મારે 5 કરોડ પણ વપરાય એટલા રસ્તા નથી. આ નિવેદન કરી ભરૂચના ધારાસભ્ય અને વિધાન સભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ હાલ સોશ્યલ મીડિયા ઉપર ટ્રોલ થઈ રહ્યા છે.
ભરૂચ માં રવિવારે કોંગ્રેસીઓ ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભા નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે નિવેદન આપ્યું હતું કે મને રસ્તા માટે સરકારે રૂપિયા 10 કરોડ ફાળવ્યા છે. નોન પ્લાન રસ્તાની વાત હતી પણ તેઓએ કહેલું કે 5 કરોડ પણ ક્યાં વાપરવા તે સવાલ છે એટલો વિકાસ થયો છે.
તેમના આ નિવેદનનો વિડીયો વાયરલ થયા બાદ લોકો અને અન્ય રાજકીય પક્ષો દ્વારા ભરૂચના ધારાસભ્ય ટ્રોલ થઈ રહ્યા છે. ભરૂચમાં એક પણ રસ્તો હાલ દુરસ્ત નથી ત્યારે લોકો કહી રહ્યા છે કે ધારાસભ્ય એ તેમના કાન, આંખ અને મગજનું ચેકઅપ કરાવવું જોઈએ. શહેર અને જિલ્લાના તેમના મત વિસ્તારના અસંખ્ય બિસ્માર રસ્તા તેઓને દેખાતા નથી શુ.
બીજી તરફ મંગળવારે આમ આદમી પાર્ટી ભરૂચે ધારાસભ્યના બેનર સાથે તેમના ઘરથી 500 મીટર દૂર કસક સર્કલ ખાતે વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. અને જણાવ્યું હતું કે, શુ યશસ્વી, લોકલાડીલા પ્રજાવત્સલ આ ભાજપના ધારાસભ્યને ભરૂચના બિસ્માર રસ્તા દેખાતા નથી. દહેજ બાયપાસ રોડ ઉપર જ એક 5 વર્ષની બાળકીનું મોત થયું હતું.
ત્યારે ભગવાન ગણેશ આ ધારાસભ્યને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ આપ દ્વારા કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર પણ ભરૂચ શહેર અને વિધાનસભાના તેમના મત વિસ્તારને લઈ લોકોએ ધારાસભ્યને જબરા ટ્રોલ કરી કોમેન્ટોનો મારો ચલાવ્યો હતો.