શિક્ષક ભરતી કૌભાંડ: ઉદ્યોગ-વાણિજ્ય પ્રધાન પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ઘરે દરોડાની તસવીરોમાં રૂ. 500 અને રૂ. 2000ની નોટોનો ઢગલો જોવા મળ્યો હતો.
શિક્ષક ભરતી કૌભાંડ: પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન પાર્થ ચેટરજીની શિક્ષક ભરતી કૌભાંડના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેની સામે શુક્રવારથી શરૂ થયેલ દરોડા શનિવાર સુધી ચાલુ રહ્યા હતા. EDએ તેના એક નજીકના સહયોગીના ઘરે પણ દરોડા પાડ્યા છે અને લગભગ 20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.
પાર્થ ચેટર્જી હવે ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન છે, જ્યારે આ કથિત કૌભાંડ થયું ત્યારે તેઓ શિક્ષણ પ્રધાન હતા. સીબીઆઈએ તેમની બે વખત પૂછપરછ કરી છે. પહેલી પૂછપરછ 25 એપ્રિલે અને બીજી વાર 18 મેના રોજ થઈ હતી. મળતી માહિતી મુજબ શુક્રવારે પણ અધિકારીઓએ તેમની 11 કલાકથી વધુ સમય સુધી કૌભાંડને લઈને પૂછપરછ કરી હતી.
મંત્રીના નજીકના સાથીદારના ઘરેથી 20 કરોડ મળી આવ્યા
મળતી માહિતી મુજબ, EDએ પાર્થ ચેટરજીની નજીકની સાથી અર્પિતા મુખર્જીના ઘરે પણ દરોડા પાડ્યા હતા. અહેવાલો અનુસાર, EDએ આ સમયગાળા દરમિયાન લગભગ 20 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે. આ કાર્યવાહીની જે તસવીરો સામે આવી છે તેમાં 500 અને 2000 રૂપિયાની નોટોનો મોટો પહાડ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અર્પિતા મુખર્જીના નામ પર કેટલાક પ્રોપર્ટીના દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાં ED હવે વધુ તપાસ કરી રહી છે.
પાર્થ અને અર્પિતા સિવાય EDએ અન્ય ઘણી જગ્યાઓ પર પણ દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓએ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા કૂચ બિહાર જિલ્લામાં અન્ય મંત્રી પરેશ અધિકારીના ઘરે પણ મુલાકાત લીધી હતી અને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. આ ઉપરાંત, તેઓએ પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ (SSC)ના ભૂતપૂર્વ સલાહકાર શાંતિ પ્રસાદ સિન્હા, પશ્ચિમ બંગાળ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ કલ્યાણમોય ગાંગુલી અને અન્ય નવ લોકોના ઘરો પર એક સાથે દરોડા પાડ્યા હતા.
સીબીઆઈ હાઈકોર્ટના નિર્દેશો પર પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગની ભલામણો પર સરકાર દ્વારા પ્રાયોજિત અને સહાયિત શાળાઓમાં ગ્રુપ ‘C’ અને ‘D’ સ્ટાફ અને શિક્ષકોની ભરતીમાં કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. તે જ સમયે, ED આ કેસ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગની તપાસમાં વ્યસ્ત છે.